૨૮૮. કવિ મુફલિસ છું

[અનુક્રમણિકા]

કવિ બરકત વિરાણી ‘બેફામ’ની કલમમાંથી શાયરીના અસંખ્ય સુંદર મોતી ટપક્યાં છે. તેમાંના કેટલાંક મોતી ખૂબ જ ચલણી બન્યાં છે અને અવારનવાર ટાંકવામાં આવે છે તો કેટલાંક પુસ્તકોના પાનાની અંદર જ પુરાઈને રહી ગયા છે. આવાં કેટલાંક ઓછા જાણીતા પણ શાયરીના સાચા ચમકદાર મોતી અત્રે રજૂ કર્યા છેઃ

(૧) નથી નિસ્બત મને આ ધરતીથી, નભથી, સમંદરથી કરું છું હું લડાઈ માનવીના મનથી અંદરથી ફક્ત જીતવી નથી, મારે તો રચવી છે નવી દુનિયા કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી -બેફામ (૨) ભાગ્ય માટે કોઈ ના રાખો સિતારા પર મદાર, ખુદ ન જે ઉગરે, ક્યાંથી એ બીજાનો ઉગાર? એ બિચારા ધરતીને અજવાળવાના કઈ રીતે? જે હરી શકતા નથી આકાશનો યે અંધકાર! -બેફામ (૩) ચમનમાં ફૂલ ના ખીલે અને વેરાન રણ આપે, ઊગે નહિ જ્યાં ઉષા ત્યાં પણ નિશાનું આવરણ આપે, નથી અલ્લાહનો અન્યાય તો બેફામ આ શું છે? જીવન જીવી શક્યાં ના હોય એને પણ મરણ આપે! -બેફામ (૪) મારી સઘળી અલ્પતાનું તું જ કારણ છે, ખુદા! તું મહાન એવો થયો કે બંદગી ઓછી પડી. દુઃખ નથી બેફામ એનું કે મરણ આવી ઊભું, દુઃખ ફક્ત એ જ કે આ જિંદગી ઓછી પડી. -બેફામ (૫) મારી ખુદ્દાર તમન્નાને નડે છે દુનિયા મારી ફિતરતની ખુશી સાથ લડે છે દુનિયા મારા અલ્લાહ ક્ષમા કરજે જો બંદો ન રહું કે હવે તું નહિ, જીવનને ઘડે છે દુનિયા -બેફામ (૬) છુ તારા માર્ગ પર ને તોય વાગે છે મને કાંટા કહે ઓ ઈશ, આ તે મારી કે તારી પરીક્ષા છે? કયામતના દિવસનો અર્થ બીજો કંઈ નથી બેફામ વિધાતાનાં લખાણો પર ફિરસ્તાની સમીક્ષા છે -બેફામ (૭) તુરબત મળી જવાબમાં માગ્યું હતું અમે ઈર્ષ્યા ન થાય કોઈને એવી જગા મળે બેફામ જીવતાં જ જરૂરત હતી મને શો અર્થ છે મરણની પછી જો ખુદા મળે -બેફામ (૮) કબરની ઊંઘમાં બેફામ જો નહિ સ્વર્ગનાં સપના, જીવનમાં જે મળ્યું નહિ એ મરણની બાદ શું મળશે? અસંતોષી નથી હોતા જે સાચા હોય છે પ્યાસા, મળે પાણી તો નહિ પૂછે ઝરણની બાદ શું મળશે? -બેફામ (૯) જનમ પરથી જ માનવના જીવનનું માપ થાયે છે રડે છે સૌ પ્રથમ, સૌને પ્રથમ સંતાપ થાયે છે, જગતમાં આવનારા જીવ માટે છે નિયમ ઉલટા સજા પહેલાં મળે છે ને પછીથી પાપ થાયે છે -બેફામ (૧૦) બધાના હાથમાં લીટા જ દોર્યા છે વિધાતાએ પછી ક્યાંથી કોઈ વાંચી શકે એવાં કરમ નીકળે? પ્રણયને પાપ કહેનારા થશે તારી દશા કેવી? કદાચ અલ્લાહને ત્યાં એજ જો દિલનો ધરમ નીકળે -બેફામ (૧૧) નિરખશો માર્ગ પર ત્યારે નકામાં લાગશે પથ્થર કદમ મૂકશો તો સંકટ જેમ સામા લાગશે પથ્થર પરંતુ વાગશે ને એ બહાને બેસવા મળશે તો મારી જેમ તમને પણ વિસામા લાગશે પથ્થર -બેફામ (૧૨) પ્રકૃતિનો જે નિયમ છે તે અવિચળ રહેશે કામ નહિ આવે કદી એ સદા નિર્બળ રહેશે જ્યાં સરોવર કે નદી બદલે હશે સૂકું રણ પડશે વરસાદ છતાં ત્યાં રોજ મૃગજળ રહેશે -બેફામ (૧૩) નમક છાંટ્યું હશે શાયદ કોઈએ દિલના જખ્મો પર કદાચિત એટલા માટે જ ખારાં થઈ ગયાં આંસુ જગત સિંધુમાં કેવળ એ જ બિન્દુ થઈ શક્યાં મોતી પડ્યાં જળમાં છતાં જળથી જે ન્યારાં થઈ ગયાં આંસુ -બેફામ (૧૪) જખમ પર ફૂંક મારે છે કોઈ તો થાય છે પીડા ઝીલે જે ઘાવ દુનિયાના હવે એવું જિગર ક્યાં છે? બિછાવ્યા તો નથી એમાં ય કાંટા કોઈએ બેફામ મરણ પહેલાં જરા હું જોઈ લઉં - મારી કબર ક્યાં છે? -બેફામ (૧૫) મને જ્યાં સુખ મળ્યું ત્યાં સાથ એનો દઈ ગયાં મિત્રો, હસીને હર્ષનો હિસ્સો મળ્યો તે લઈ ગયા મિત્રો, મગર એક જ દશા પૂરતી હતી નહિ એ વફાદારી, દુઃખી હું થઈ ગયો ત્યારેય હર્ષિત થઈ ગયા મિત્રો! -બેફામ (૧૬) મને કબૂલ છે મિત્રો, તમે નિખાલસ છો, તમારી લાગણી છે એવો ભાસ તો આપો. જુઓ છો જેમ બધાને, મને ન એમ જુઓ, કદીક મારા ઉપર ધ્યાન ખાસ તો આપો. મર્યા પછી તો કબર આપશે બધા બેફામ, મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો. -બેફામ (૧૭) કરો ન વાત કે હું આવો છું ને એવો છું, કહી દઉં છું હવે હું જ કે હું કેવો છું, નથી હું કોઈ ફિરસ્તો, ઓ નિંદકો મારા! હું માનવી છું, તમારા બધાય જેવો છું! -બેફામ

[ટોચ]   [અનુક્રમણિકા]

Leave a comment